તેમના જીવન વિશે કોઇ પ્રમાણભૂત માહિતી મળતી નથી કારણકે તેમના ભજનો અને જીવન કથા મૌખિક રીતે રજૂ થતી આવી છે. લોકકથાઓ અનુસાર, તેઓ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં સરવૈયા રાજપૂત કુટુંબમાં આશરે ૧૨મી થી ૧૪ સદીમાં જન્મ્યા હતા. તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમઢીયાળાના ગિરાસદાર કહળસંગ અથવા કહળુભા સાથે થયા હતા. કહળસંગ ભક્તિ આંદોલનના નિજ્ય અનુયાયી હતા. તેમને અજોભા નામનો પુત્ર હતો જેના લગ્ન પાનબાઇ સાથે થયા હતા. ગંગાસતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઇ વસ્યા અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. લોકવાયકા મુજબ, લોકોના વ્યંગથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે, કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી. કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગંગાસતીએ ત્યારબાદ સમાધિ લીધી